Monday, June 10, 2013

શું જલુ જો કોઈની જાહોજલાલી થાય છે, એ દશા એવી છે જ્યાંથી પાયમાલી થાય છે. - બરકત વિરાણી 'બેફામ'

શું જલુ જો કોઈની જાહોજલાલી થાય છે,
એ દશા એવી છે જ્યાંથી પાયમાલી થાય છે.

ગ઼મ વધારે હોય દિલમાં તો ખુશાલી થાય છે,
જો દિવા ઝાઝા બળે ત્યારે દિવાળી થાય છે.

વાદળો જામે છે દિલમાં ત્યારે છલકે છે સુરા,
આસમા થી મય મળે છે ત્યારે પ્યાલી થાય છે.

ગ઼મ કરો નહીં કે વીતે છે જિંદગી લઝ્ઝત વિના,
થાઓ ખુશ પીધા વિના પણ જામ ખાલી થાય છે.

જિંદગી તો એજ રહેવાની છે, જાગો કે ઊંઘો,
કાં તો ખ્વાબી થાય છે કાં તો ખયાલી થાય છે.

કોણ દુનિયાને પિછાણે ? કોણ દુનિયા થી બચે ?
વેર રાખે છે અને પાછી વહાલી થાય છે.

છે સફળતાને વિફળતા એક સીમા પર પ્રેમ માં,
હાથ પકડાતો નથી તો હાથતાલી થાય છે.

મારી આશાઓ મળે છે એવી માટીમાં હવે,
સાકી ! આ તારા સુરાલયની જે પ્યાલી થાય છે.

એવી દુનિયામાં ભલા દુ:ખના દિલાસા કોણ દે ?
એકનો ગ઼મ જ્યાં બીજા માટે ખુશાલી થાય છે.

જાણતું કોઈ નથી એ ના ફકીરી હાલ ને,
એટલે 'બેફામ' દુનિયામાં સવાલી થાય છે.

- બરકત વિરાણી 'બેફામ'

No comments:

Post a Comment