Tuesday, July 26, 2022

જિંદગી ના મળી મન મુજબની,ત્રાસ છે, યાતના છે, સિતમ છે. - શૂન્ય પાલનપુરી

જિંદગી ના મળી મન મુજબની,
ત્રાસ છે, યાતના છે, સિતમ છે.
તે છતાં હાય ! કહેવું પડે છે,
'દેણ ઈશ્વરની કેવી પરમ છે !'

એબ પર થઈને મુસ્તાક ફરવું,
એને શોભા ગણે તે અધમ છે;
નિત પ્રદર્શિત કરે છે કલંકો,
ચાંદ પણ કેટલો બેશરમ છે !

જો ના પામી શકાયે સમંદર,
તો મરણને જ માનું હું બહેતર !
એક ખાબોચીયે ડુબવામાં,
ગર્વ લે મરજીવો એ શરમ છે.

પ્રેમ-દર્દીનો ઉપચાર મૂકો,
સૌ ઇલાજોની એને ખબર છે,
રોગ થઈ જાય જેનો પુરાણો,
શું ભલા એ તબીબોથી કમ છે ?

પ્યારાને મારી નિર્બળ ન માનો,
હાથ લાગ્યું છે ઝરણું સુરાનું;
જામ લઈ લો, હટાવો સુરાહી,
આપને મસ્ત આંખોના સમ છે.

એક દોટે મળે છે ન મંઝિલ,
લાખ કરવા પડે છે વિસામા !
દુઃખ નથી શૂન્ય લાંબી સફરનું;
અશ્વ કમજોર છે એનો ગમ છે.

- શૂન્ય પાલનપુરી

No comments:

Post a Comment