Monday, September 30, 2013

કવિ જેમ ઉઘડી શકાતુ નથી હોં, સમયસર નિખાલસ થવાતુ નથી હોં. - ‘ઇર્શાદ’ ચિનુ મોદી

કવિ જેમ ઉઘડી શકાતુ નથી હોં,
સમયસર નિખાલસ થવાતુ નથી હોં.
તને ભૂલવાના હતા કંઈક રસ્તા,
પણ હવે આપણાથી ચલાતુ નથી હોં.

ક્રૂરતા ક્યાં કદી બતાવે છે,
માત્ર એ જીવતા ચણાવે છે.
મખમલી મોજડી અપાવે છે,
પગ વગરના પછી બનાવે છે.

ધબકવા ન દે, શાંત પડવા ન દે,
કમાડો ઉઘાડે, નીકળવા ન દે.
ઘણી વાર વરસાદ એવો પડે,
ચિતા પર ચઢો ને સળગવા ન દે.

આપણા માટે સમજદારી નથી,
મારી વાતો સાચી છે, સારી નથી.


ઊંઘ પણ આવે નહીં ને સ્વપ્ન પણ આવે નહીં,
સાવ સામે તું હતી ને તું ય બોલાવે નહીં.

હું કહું છું-લાવ તરા હાથમાં મહેંદી મૂકું,
એ છતાં યે તું હથેળી કેમ લંબાવે નહીં.

હું સુગંધીરૂપ છું એ કેમ સમજાવું તને?
પુષ્પની માફક પ્રકટ રહેવું મને ફાવે નહીં.

વેલ સૂકાતી રહી ને વૃક્ષ એકલતા સહે,
એક-બીજાની નિકટ આવી શકે, આવે નહીં.

આપણી વચ્ચે ‘ઇર્શાદ’ આડી ભીંત છે,
હું યે ઓળંગી શકું ને તું યે તોડાવે નહીં.

- ‘ઇર્શાદ’ ચિનુ મોદી

No comments:

Post a Comment