Saturday, August 3, 2013

તું વાતે વાતે શબ્દના ભારા ન મોકલાવ , તારા વિશેના અમને દિલાસા ન મોકલાવ . - 'આદિલ' મન્સૂરી

તું વાતે વાતે શબ્દના ભારા ન મોકલાવ ,
તારા વિશેના અમને દિલાસા ન મોકલાવ .

મંઝિલ તો ઝાંઝવાનું બીજું રૂપ છે અહીં ,
તું એને શોધવા વધુ રસ્તા ન મોકલાવ .

જે આંખમાં રહેતો હતો ચહેરો કોઈનો ,
વેરાન એવી આંખમાં સપના ન મોકલાવ .

આકાશ લઈને ચાંદ તો ડૂબી ગયો, હવે ,
અવકાશ ભરવા અમથા સિતારા ન મોકલાવ .

છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દનાં ,
તળિયેથી તારા મૌનના પડઘા ન મોકલાવ .

આંસુ વહીને જાય છે પગલાંની શોધમાં ,
બીજી તરફથી એને તું પાછાં ન મોકલાવ .

બેસી પલાંઠી વાળીને સૂરજની વચ્ચોવચ ,
છ અક્ષરોના નામના દીવા ન મોકલાવ .

હંધાય આલા ખાચરો જે બેઠા ડાયરે ,
તે સૌને ઘોળી ઘોળી કહુંબા ન મોકલાવ .

પૂરી થઈ નથી હજી જીવનની આ ગઝલ ,
અધવચ્ચે આમ અટકીને મક્તા ન મોકલાવ .

વરસ્યો’તો ધોધમાર તો વરસ્યા જ કર હવે ,
આદિલના દિલમાં યાદના છાંટા ન મોકલાવ .

- 'આદિલ' મન્સૂરી

No comments:

Post a Comment