Monday, June 10, 2013

બસ દુર્દશાનો એટલો આભાર હોય છે, જેને મળું છું મુજથી સમજદાર હોય છે. - 'મરીઝ' અબ્બાસ વાસી

બસ દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું મુજથી સમજદાર હોય છે.

ઝંખે મિલનને કોણ જો એની મજા કહું !
તારો જે દૂર દૂરથી સહકાર હોય છે.

ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર,
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે.

દાવો અલગ છે પ્રેમનો, દુનિયાની રીતથી,
એ ચુપ રહે છે જેનો અધિકાર હોય છે.

કાયમ રહી જો જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે.

હો કોઈ પણ દિશામાં બુલંદી નથી જતી,
આકાશ જેમ જેઓ નિરાધાર હોય છે.

નિષ્ફળ પ્રણય પણ એને મટાડી નહીં શકે,
તારા ભણી જે મમતા લગાતાર હોય છે.

જો એ ખબર પડે તો મજા કેટલી પડે,
ઈશ્ર્વર જગતમાં કોનો તરફદાર હોય છે.

નાદાન એને કોઈના પગરવ ન માનજે,
કે કાનમાં અમસ્તાય ભણકારા હોય છે.

દીવાનગીથી કંઈક વધુ છે સમજનું દુ:ખ,
રાહત છે કે સમજ ન લગાતાર હોય છે.

જાણે છે સૌ ગરીબ કે વસ્તુ ઘણી "મરીઝ",
ઈશ્ર્વર પણ વિશેષ નિરાકાર હોય છે.

જોયા છે એવાય સંતોને મેં રસ્તા ઉપર "મરીઝ",
કદમોમાં જેના સેંકડો ઘરબાર હોય છે.

 - 'મરીઝ' અબ્બાસ વાસી

No comments:

Post a Comment